કાવ્ય-ગીત “એક વેંત ઊંચી” સરયૂ પરીખની રચનાનું રસ દર્શન …શ્રી જુગલકિશોર વ્યાસ.
2016-07-07 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>:
જુઓ, મેં ગીતકાવ્યનો અન્વય કર્યો છે. અન્વયમાં કાવ્યના શબ્દો જેમના તેમ રાખીને ખુટતા શબ્દો મુકીને ગદ્યમાં વાક્યરચના કરવાની હોય છે.
આને કારણે કાવ્યમાંનો વીચાર સળંગસુત્ર છે કે નહીં તે સમજાય છે. બે પંક્તી વચ્ચે કે બે કડી વચ્ચે વીચારની કે ભાવની સળંગસુત્રતા જળવાય છે કે નહીં તેની પરીક્ષા થઈ જાય છે. ઘણી વાર એવું બને કે સર્જકને તો તેઓ ભાવમય હોવાથી ભાવ કે વીચારનો તાંતણો તુટતો દેખાય નહીં પરંતુ અન્વય કરવાથી બે પંક્તી, બે કડીઓ કે પછી સમગ્ર કાવ્યમાં અનુસંધાન રહ્યું છે કે કેમ તે ખ્યાલમાં આવી જાય છે.
તમે હવે નવેસરથી મેં મુકેલો અન્વય જોઈ જજો. મારા આ પ્રયત્નમાં ક્ષતી પણ જોવા મળે તો કહેજો. આ કામ એવું છે જે જો એનો ખ્યાલ મનમાં જો બેસી જાય તો બહુ લાભ થાય છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(આ) જગત(માં) જીવન (એક) ઝંઝાળ–જાળ (છે)
(ને એવામાંય – એમ છતાં પણ) (કોઈ પણ પ્રકારનું) અસુખ મારે અંતરે અડકતું નથી.
(હું ) એક વેંત ઊંચી ઊડતી રહું છું, (ને) રેતીની સરત– સેર સરતી (રહે છે); (કહો કે / જાણે કે,)
નીચે સમયની સેર (પણ) સરી (રહી છે).
મારે આંગણે (તો બધા જ) ઉજાસ સરખા (છે), મારી પાંપણે (કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહરુપી) પડછાયા નથી;
(મેં તો) પહેલાં આપીને (પછી જ) લીધું (છે) – લીધાં વગર ચાલવાનું નથી, પણ તેની પાછળના ભાવ અગત્યનાં છે.(ને) દહર– બારણે સ્વાર્થ (તો) છોડીને (જ બેઠી છું). વટને (તો મેં) ઊભી વાટમાં (જ) વેર્યો છે ;
ઈશના અનેક રૂપો (આ) જીવન–રાસમાં (જોવા મળ્યા છે) –
(મારા)એકે એક શ્વાસ એના (જ)પ્રાસ – તાલ –માં (ચાલી રહ્યા છે.)
અભિમાન છોડી, નમ્રતાથી દરેકનો સહજ સ્વીકાર અને સરળ સંબંધ, કારણ દરેકમાં ઈશ્વરનું સ્વરૂપ જોયું તેમજ દરેક જીવનો પ્રાસ-તાલ તેની સાથે મળેલો છે
ક્ષણ ક્ષણનાં સ્પંદનો સુગંધ (થી ભર્યાં છે), થી તરબતર છે, શર –પાણીની બુંદેબુંદમાં નવલનવાં સર્જનો (નો અનુભવ થઈ રહ્યો છે);
(હું) છો(ને), પહેરી ઓઢી(ને) – બનીઠનીને – વૃંદમાં ફરતી (રહેતી હોઉં),
(પરંતુ) (મારી) મનોકુંજમાં (તો હું) એકલી (જ) મલપતી (એવી આનંદમગ્ન) છું.
(૧૧મી પંક્તીનો અન્વય થઈ શકતો નથી
કારણ કે માફી માગી છે કે મળી છે તે સ્ષ્ટ થતું નથી. ને હળી શબ્દનો સંદર્ભ નથી મળતો)
––––––––––––––––––––––––––––––––––––––––––
હવે પછી આપણે આનું રસદર્શન કરીશું કારણ કે ગીતકાવ્ય મજાનું છે.___જુ.
શ્રી. જુભાઈના માર્ગદર્શન પછી…… મઠારેલ કાવ્ય. તમારા પ્રોત્સાહનથી મારો ઉત્સાહ – મલપતો મનોકુંજમાં.
..આનંદ સાથ આભાર. સરયૂ
એક વેંત ઊંચી
અસુખ અડકે ના મારે અંતરે.
જીવન ઝંઝાળ–જાળ જગત રે
ઊડતી રહું એક વેંત ઊંચી કે,
નીચે સમયની સરત સેર રે
સરખા ઉજાસ મારે આંગણે
નહીં રે પડછાયા મારી પાંપણે
પહેલાં આપીને લીધું આપણે
છોડીને સ્વાર્થ દહર બારણે
વટને વેર્યું રે ઊભી વાટમાં
સદ્ભાવે હળીમળી વાસમાં
ઈશના અનેક રૂપ રાસમાં
એક એક શ્વાસ એના પ્રાસમાં
ક્ષણ ક્ષણનાં સ્પંદનો સુગંધમાં
નવલ નવાં સર્જન શર બુંદમાં
છો, પહેરી ઓઢી ફરું વૃંદમાં
એકલી મલપતી મનોકુંજમાં
——–
સરત=સ્મૃતિ, દહર=દિલ, શર=પાણી
“અખંડ આનંદ” જૂન ૨૦૧૬
સરયૂ પરીખ
રસ દર્શનઃ
સરસ કામ થયું. ….જોકે આ ગીતકાવ્યમાં થોડી ક્લીષ્ટતા પહેલેથી જ છે. કેટલીક કડીઓમાં ભાવકને તેનો મર્મ પહોંચવામાં સરળતા નહી રહેતી હોય એમ બને…..મને લાગે છે કે જે કાંઈ અધ્યાર રહી જાય, જે જગ્યાએ બે પંક્તી કે બે કડીઓ વચ્ચે અનુસંધાન પકડવાનું અખરું લાગે ત્યાં ક્લીષ્ટતા ઉભી થતી હશે……
મને તો ગીતનો લય ગમ્યો છે જે કાવ્યભાવને અનુકુળ અને અનુરુપ જણાયો છે…..રે, અને કે જેવાં લટકણીયાં ભાવને ઘુંટનારા મને લાગ્યા છે. ગીતોમાં રે, લોલ, હે જી વગેરે એક બાજુ લય અને તાલને સાચવે છે તો બીજી બાજુ ભાવને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. લોકગીતોમાંથી આ લટકણીયાં કાઢી નાખો તો મજા જતી રહે ……
આભાર સાથે, – જુ.