Archive for November, 2008

માનવ એકતા

Posted in કાવ્યો by saryu on November 28th, 2008

જાણું છુ કે,

જાંજવાના જળ મહી પાણીની બુંદ ના મળે

સ્વઅર્થી   ચક્ષુમાં  સંવેદન  અશ્રુ  ના  મળે

ચીનગારી  ઇર્ષા તણી ને  હામ હૈયુ સૌ બળે

અવિદ્યા વસ્તુ વર્તુળે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એક ના મળે

પ્રભુ બક્ષો,

પરમ  શાંતિ ધામમાં   ઉત્પાત  કંટક ના મળે

સૂર્યના સ્નેહ ઉજાસમાં રાત કાલિમા ના મળે

મહાસાગર નીરમાં મોજાની ભિન્નતા ના મળે

ને અનંત અભેદ સત્યમાં  માનવ એકતા મળે

                 મૃત્યુના  આવતા  પહેલા  પૂરો  ઉપયોગી  બનુ

                  અમાનુષ કૃત્ય કરતો મટી, સહિષ્ણુ માનવ બનુ

ગુંજન

Posted in કાવ્યો by saryu on November 12th, 2008

કોઈ મીઠી યાદ  લઈ  આવે મન ગુંજન

કોઈ મંજુલ સાદ લઈ આવે ગીત ગુંજન–

તરુણ દિલ મસ્ત સાંજ કુસુમલતા કુંજન

અણજાણ્યા અણધાર્યા પ્રેમ અશ્રુ અંજન–

રોમાંચક રતિ પ્રિયા રજની  મધુ  રંજન

શ્રાવણના ઝરમરમાં   ભીંજાયુ  ગુંજન–

ભક્તહ્રદય ભક્તિલીન આરતી ને પૂજન

રામ રટણ   દિનચર્યા  રોમરોમ  ગુંજન–

દુઃખ જનની વાસનાનો મોહભાવ ભૂંજન

સહજભાવ સર્વત્યાગ  આનંદનુ  ગુંજન–

જ્ઞાન ને વૈરાગ બેઉ આધ્યાત્મિક વ્યંજન

બ્રહ્મનિષ્ઠ  યોગીનુ  આત્મરત    ગુંજન–

મહાભારતના પાત્રો

Posted in કાવ્યો by saryu on November 1st, 2008

    

જીજ્ઞાસુ અર્જુન ગીતાનો   જ્ઞાનપ્યાસમાં    વિચરે

દ્રોણાચાર્ય  હું   બની ફરું     ગત   કર્મોના  સંસ્કારે

 

આ દુર્યોધન  જે  વસે મહીં,    કામ ક્રોધ   આધારે

મન સત્તાધારી ધૃતરાષ્ટ્ર જે મોહવશ થઈ રાજ કરે

 

માયાળુ ને પ્રેમભર્યા એ  ’હું’ કર   ભીષ્મ દુઃસંગ કરે

 સમતા જ્ઞાન   વિવેક છતાંયે  કુરુકાંત આસક્ત રહે

 

પાંચ ચક્રને જાગ્રત કરતી  પાંચાલી વશીકાર બને

કૃષ્ણ એ મારો અંતર આત્મા  નહીં રે મંદિર મંદિરે

 

કુરુક્ષેત્રની   લખી   કહાણી  અનેક    પાત્રો  વાળી

મુનિવ્યાસ તમ વાર્તા  શૈલી  ગહન અતિ મર્માળી

——————————

અર્જુનઃ સાધક.       દ્રોણાચાર્ય: સંસ્કાર.

દુર્યોધનઃ કામના.    ધૃતરાષ્ટ્રઃ મોહાંધ.

ભીષ્મઃ અહંકાર.     પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની.

કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર.

મારી સમજ અનુસાર, નમ્રતાપૂર્વક-Saryu



 Type in